બ્રેકીંગ ન્યુઝ

Aravalli: જિલ્લામાં પપૈયાનું વાવેતર કરતા ખેડૂતોને રૂ.2.28 કરોડની સહાય ચૂકવાઇ


પરંપરાગત પાકોની સરખામણીએ બાગાયતી ખેતી દ્વારા ધરતીપુત્રોને સારી કમાણી થાય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પપૈયાની ખેતી કરતા ખેડૂતોને રૂ.2.28 કરોડની સહાય પ્રોત્સાહનરૂપે ચૂકવાઇ હોવાનું સરકારે ગૃહમાં જણાવ્યું છે.

રાજ્ય સરકાર ખેડૂતોને પપૈયાના વાવેતર માટે પ્રોત્સાહન આપે છે કે કેમ ? અને અરવલ્લી જિલ્લામાં કેટલા ખેડૂત લાભાર્થીઓને સહાયની રકમ ચૂકવવામાં આવી? તેવા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના કૃષિ મંત્રીએ ઉક્ત વિગતો જાહેર કરી હતી. જેમાં તા.31-12-2024ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં પપૈયાની ખેતી કરતા હોય તેવા લાભાર્થીઓની સંખ્યા 748 જેટલી હતી. તેમને છેલ્લા બે વર્ષમાં પપૈયાના પાકના વાવેતર માટે સહાય તરીકે કુલ રૂ. 2,28,65,999 જેટલી રકમ ચૂકવવામાં આવી હોવાનું ગૃહમાં જણાવ્યું હતું.

નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં ફળફળાદી પાકોના વાવેતરની પાછલા વર્ષોની સરેરાશ મુજબ લગભગ 4500થી પાંચ હજાર હેક્ટર જેટલો વિસ્તાર હોય છે. જેમાં ખેડૂતો કેરી, ચીકુ, સંતરા, જામફળ, દાડમ, પપૈયા, સીતાફળ, ડ્રેગન ફ્રુટ, કેળા, બોર, આમળાં સહિતના વિવિધ ફળોની ખેતીમાં હાથ અજમાવે છે. સુત્રો મુજબ જિલ્લામાં પપૈયાનો વાવેતર વિસ્તાર સરેરાશ 1500થી 1800 હેક્ટર જેટલો હોય છે.

જેમાં ભાવ પ્રમાણે વાવેતર વિસ્તારમાં વધઘટ જોવા મળે છે. જિલ્લામાં પપૈયાના વાવેતરમાં બાયડ તાલુકો મોખરે છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!