Gram Panchayat Election Result: મહેસાણાના પઢારીયામાં 1 મતથી સરપંચ બન્યા રતનસિંહ ચાવડા

મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે. તમામ તાલુકા મથકોએ મતગણતરીનો પ્રારંભ આજે સવારથી જ થઈ ગયો છે. 230 ગ્રામ પંચાયતોમાં 227 સરપંચ પદ અને 652 સભ્યોની મત ગણતરીનો પ્રારંભ થયો છે. તમને જણાવી દઈએ કે ગ્રામ પંચાયત ચૂંટણીમાં 75.77 ટકા મતદાન થયું હતું.
પઢારીયા ગામના સરપંચ બન્યા રતનસિંહ ચાવડા
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મત ગણતરી કેન્દ્રો ઉપર હાલમાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે અને ચૂંટણી પરિણામોને લઈને ગ્રામ્યસ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના પઢારીયા ગામે રોમાંચક પરિણામ આવ્યું છે, પઢારીયા ગામમાં ફક્ત 1 મતથી રતનસિંહ ચાવડા વિજયી બન્યા છે. 1 મત વધુ હોવાના કારણે રતનસિંહ ચાવડા સરપંચ બન્યા છે.
પંચમહાલમાં 5 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર
ગુજરાતમાં સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. સુરત, વડોદરા, ગાંધીનગર, કચ્છ બાદ પંચમહાલના ચૂંટણી પરિણામો સામે આવ્યા છે. પંચમહાલમાં 5 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં સરાડીયા, ખોડા, સાજીવાવ અને ધમાઈગામમાં ચૂંટણી પરિણામ જાહેર થતા જ સરપંચ કોણ બનશે તેની અટકળોનો અંત આવ્યો છે. પંચમહાલમાં હાલમાં 5 ગ્રામપંચાયતની ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ગામોમાં સરાડીયા ગામમાંથી દલપતસિંહ બારીયાની જીત થઈ છે. ખોડા ગામમાં ગજરાબેન પગી વિજેતા જાહેર થયા છે અને સાજીવાવમાં જશવંતસિંહ ખાંટ વિજેતા થયા છે. જ્યારે ધમાઇ ગામમાં મનિષા બારીયાએ સારા મતોથી જીત મેળવતા સરપંચ બનશે. રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી બાદ ગ્રામપંચાયતની ચૂંટણી થઈ હતી. અને આજે 11 ગ્રામપંચાયતની પેટાચૂંટણી પરિણામને લઈને મતકેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવી છે.