ભાજપમાં સાફસુફી શરૂ:પખવાડિયામાં રાજકીય ધડાકા જેવા નિર્ણયો થશે!!!!!!
ભાજપ આઈટી સેલના કન્વીનર મહેશ મોદીએ રાજીનામુ આપ્યુ છે તો તેની સાથે પ્રદીપસિંહના સાથીદાર તરીકે ગણાતા નીખીલ પટેલ સહિત ત્રણ લોકોના પણ રાજીનામા આવી ગયા છે

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રીપદેથી પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ ત્રણ રાજીનામા પડયા છે. જેમાં રાજય ભાજપ આઈટી સેલના કન્વીનર મહેશ મોદીએ રાજીનામુ આપ્યુ છે તો તેની સાથે પ્રદીપસિંહના સાથીદાર તરીકે ગણાતા નીખીલ પટેલ સહિત ત્રણ લોકોના પણ રાજીનામા આવી ગયા છેઅને હજુ વધુ ચાર-પાંચ લોકોના રાજીનામા આવશે તેવા સંકેત છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપમાં હવે ગૂપચૂપ ઓપરેશન શરુ કરાયુ છે અને એક યાદી તૈયાર કરાઈ છે. જેના રાજીનામા માંગી લેવાશે. કોઈ મોટા ન્યુઝ બને નહી તે હેતુથી ત્રણ-ચાર લોકોના તબકકાવાર રાજીનામા ‘રીલીઝ’ કરાશે. પક્ષમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ખાસ કરીને આઈટી સેલની વ્યાપક સાફસુફી કરવામાં આવશે અને તેમાં અનેકને હાલમાંજ કમલમમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે.
ગુજરાત ભાજપનું રાજકારણ હાલ હોટ બની ગયું છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ઉભા થયેલા જુદા જુદા રાજકીય ઘટનાક્રમો વચ્ચે એક પખવાડિયામાં ભાજપ સંગઠનથી માંડી સરકાર અને મંત્રીમંડળ કક્ષાએ મોટા ફેરફારો થાય તેવા નિર્દેશ ઉચ્ચ કક્ષાએથી મળે છે. બે સપ્તાહમાં કેટલાક મોટા અને આશ્ચર્યજનક નિર્ણયો આવવાની આગાહી કેટલાક લોકોએ કરી દીધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળના મંત્રી મંડળમાં કેટલાક ફેરબદલ અને ઉમેરા-બાદબાકી થઇ શકે છે.
તા.27-28 જુલાઇની વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વખતે તા.27ના રોજ કેબીનેટ મંત્રીઓની બેઠક રાખવામાં આવી હતી. નરેન્દ્રભાઇ મોદીએ સંગઠનની બેઠક પણ કરી હતી. બાદમાં એક બાદ એક એવી રાજકીય આશ્ચર્ય સર્જે તેવી અને આંચકાજનક ઘટનાઓની પરંપરા શરૂ થઇ હતી. જેના પડઘા હજુ પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી બહાર આવેલા પત્રિકાકાંડમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મોટા નેતાઓ પર આક્ષેપોનો મારો ચાલ્યો હતો. તેના પડઘા દિલ્હી સુધી પણ પડયા છે. પૂર્વ કેબીનેટ મંત્રી ગણપત વસાવાના પી.એ.નું નામ પણ આ પત્રિકાકાંડમાં ઉછળ્યું હતું. તા.5 ઓગષ્ટે ભાજપના ટ્રબલ શુટર એવા અગ્રણી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામુ આપતા ભાજપમાં હલચલ મચી છે.
જોકે આ રાજીનામુ અઠવાડિયા પહેલા વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વખતે જ તૈયાર થઇ ગયાનું ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન અમુક મંત્રીઓ અને સંગઠનના હોદેદારોના કામથી ખુશ નથી. આ મંત્રીઓના નામ ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કેબીનેટમાં ફેરફાર કે વિસ્તરણ આવી શકે છે. પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ આશ્ચર્ય ઉભા થાય તેવા ફેરફાર અને નિર્ણય બે અઠવાડિયામાં તોળાઇ રહ્યાની આગાહી રાજકીય પંડિતોએ કરી છે. હાલ ભાજપમાં ઓલ ઇઝ વેલ નથી તે વાત સૌના ધ્યાનમાં આવી ગઇ છે