બ્રેકીંગ ન્યુઝરાજકારણ

રાજકીય રોટલો : “બા” ગીરી સામે દાદાગીરી કે ભાઈગીરી ટાઢી પડી ગઈ!!!!

રાજકારણ એ રાજ કા રણ છે પણ એમાં આ....નવો અધ્યાય ........

વિતેલા ત્રણ દાયકાના ઇતિહાસમાં પ્રજાના મતે ચૂંટાયેલા એવા લોક પ્રતિનિધિઓ આવ્યા કે જેમણે પોતાનો લાંબો કાર્યકાળ ભોગવ્યો, પરંતુ આખી કારર્કીદી દરમ્યાન રાજયમંત્રીની કક્ષા સુધી પહોંચેલા આ નેતાઓએ કયારેય જાહેરમાં જરાપણ વિવેક ચૂકયો ન હતો, દા.ત. વસુબેન ત્રિવેદીની વાત કરીએ તો ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા, રાજયમંત્રી પણ બન્યા, એક સમયે ‘બેન’ના નામની બોલબાલા  હતી, મહાનગરપાલિકામાં પણ વસુબેનના પડયા બોલ ઝીલવામાં આવતા હતાં, એમણે પોતાની ધાક જરુર રાખી હતી પરંતુ જાહેરમાં કે પછી બંધ બારણાની બેઠકોમાં પણ તેઓ કયારેય વિવેક ચૂકયા ન હતાં અને કયારેય કોઇના માટે ઘસાતું બોલ્યા ન હતાં, એ ભૂતકાળ જાણીતો છે.વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો

આ જ રીતે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ડો.દિનેશભાઇ પરમાર, પૂર્વ મંત્રી એમ.કે.બ્લોચ, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, આ બધા નામ એવા છે જે વિતેલા ત્રણ દાયકામાં જામનગરના રાજકારણ પર લોખંડી પકડ ધરાવતા હતાં, આમાંથી એક પણ લોક પ્રતિનિધિ એવા નથી કે જેમણે કયારેય કોઇને પણ જાહેરમાં ઠેસ પહોંચાડતા શબ્દોનો ઉપયોગ કર્યો હોય, આ બધા હંમેશા વિવેકમાં રહ્યા…રાજકારણ જરુર રમ્યા અને તેમાં કંઇ ખોટુ પણ નથી, કારણ કે રાજકારણમાં રાજ કા રણ તો રમવું જ પડે, પરંતુ એમની જીભ કયારેય એમના કાબુ બહાર ગઇ નહીં.

હાલના  રાજકારણની અને આજના પ્રેકટીકલ તથા વધુ આધુનિક બનેલા રાજકારણીઓ સાથે ઉપરોકત નેતાઓની તુલના કરવામાં આવે છે ત્યારે ભાષા વિવેકનો જબરો ભેદ જોવા મળી રહ્યો છે અને રાજકારણના નવા નિશાળિયા  કદાચ એવું માને છે કે, એક વખત લોક પ્રતિનિધિ બની ગયા બાદ એમને ગમે તેના માટે ગમે તેમ બોલવાનો પીળો પરવાનો મળી જાય છે….હકીકતે આ એમની ગેરમાન્યતા છે.તો કેટલાક તો પોતાના બાપ ની ગાદી સમજી બેઠા હોવાનું જગ જાહેર છે જો કે  અહી એ બાબતે ચર્ચા કરવી હાલ પુરતી જરૂરી નથી પણ એમ અવશ્ય અહી શકાય કે પાર્ટી માટે એ મોટું નુકશાન છે. આવી વાતો બહાર આવે એટલે પાર્ટી એ પણ મને ક મને પગલાં લેવા  મજબુર થવું પડતું હોય છે.

જામનગરના શહીદ સ્મારક પર ગુરુવારે ભાજપની ત્રણ મહીલા નેતાઓ વચ્ચે થયેલા અને રાજયકક્ષાએ ગાજેલા પ્રકરણ બાદ જામનગરની આમ જનતામાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે અને સજ્જન લોકો તો હવે ત્યાં સુધી કહેવા લાગ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટી દ્વારા જેવા શિસ્તબઘ્ધ પક્ષમાં ‘”બા” ગીરી ભાઈગીરી કે  દાદાગીરી’ ચાલશે ?, તો બીજી તરફ ભૂતકાળ બની ચૂકેલા રાજકીય નેતાઓને પણ આજે યાદ કરી રહ્યા છે અને એમણે એમના કાર્યકાળ દરમ્યાન દેખાડેલી શિસ્તના વખાણ કરી રહ્યા છે.

શહીદ સ્મારકે શું થયું ? એ તમામ બાબત વિડીયો ફુટેજના માઘ્યમથી લોકો સુધી પહોંચી ગઇ છે, જોવા એવું મળ્યું કે, ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને મેયર બિનાબેન કોઠારી વચ્ચે શાબ્દીક યુઘ્ધ થયું, વિડીયોમાં ઘણા બધા અંશ પણ સાંભળવા મળી રહ્યા છે, હવે લોકો આ ઘટનાને અલગ-અલગ નજરે જોઇ રહ્યા છે, મુલ્યાંકન કરી રહ્યા છે અને એવી પણ ચર્ચા કરતા થઇ ગયા છે કે, યાર આ તો ‘બા-ગીરી ’ કહેવાય….એમ મજાક માં પણ બોલી રહ્યાછે

કોઇપણ શબ્દથી છંછેળાયેલા રિવાબા જાડેજા પોતાનો ગુસ્સો  ખોઇ બેસે છે અને આંખો કાઢે છે, આંગળી દેખાડે છે, મોઢા સુધી ઘસી જાય છે, જોર જોરથી બોલે છે, થોડા બેકાબુ જેવા થઇ જાય છે અને ઔકાત જેવા શબ્દો પણ જાહેરમાં ઉચ્ચારી લેતા તેઓ ખચકાતા નથી.કદાચ આ જ કારણે જામનગરના સજ્જન લોકોને જામનગર ભાજપની ત્રણ મહીલાઓ વચ્ચે થયેલા ટકરાવમાં બા – ગીરી ના દર્શન થઇ રહ્યા છે અને લોકો એવું પણ વિચારતા થઇ ગયા છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ શું બા-ગીરી ભાઈગીરી કે  દાદાગીરી ચાલશે..?

હંમેશા શિસ્તના દંડા પછાડતા , શિસ્તમાં રહેવાની સલાહ આપતા ગુજરાત ભાજપના મોવડીઓ તથા કેન્દ્રના સર્વોચ્ચ ગણાતા મોવડીઓ પરંતુ રાજયકક્ષાએ અને નેશનલ ચેનલો સુધી ગાજેલા જામનગરના પ્રકરણ સંબંધે શું કામ ખામોશ છે ? એ બાબત પણ મતદાતાઓને મુંઝવી રહી છે.

જો કે પોેતે ગમે તેવા ઉંબાડીયા કરી લે પરંતુ મીડીયા જયારે જાહેરમાં બનેલી ઘટનાઓનું પોર્સ્ટમોટમ કરે અને આ ઘટનાના દરેક પાસા લોકોને સમજાવવાની કોશીષ કરે ત્યારે રાજકારણીઓ એવું કહેતા અચકાતા નથી કે મીડીયાવાળા વાતનું વતેસર કરી રહ્યા છે.

જો કે પાર્ટી આ બાબતે મૌન રહી ને મામલો નીપટાવવાનો પ્રયત્ન કરી રહી હોય શકે અને એમાં ખોટું નથી જો કે પુનમબેન મામલા ને ગંભીરતા સમજી જતા જોરદાર નાની બહેન ની વાત કરી પૂર્ણ વિરામ મુકવાનો પ્રયત્ન કરી ચુક્યા છે. બસ હવે જોવાનું એટલુજ છે કે ચૂંટણી આવે ત્યાં સુધી “બા-ગીરી, ભાઈગીરી કે દાદાગીરી ” બધામાં થી શું ચાલશે ….કે પછી ઠંડુ પાણી રેડાઈ જશે.સામે આવનારા ચૂંટણી માં આ મુદ્દો વિરોધ પાર્ટી કેવીરીતે ઉછાળે છે તેના ઉપર આધારિત છે.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!