Gujarat: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવાશે

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લીધો અને એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું.તેમણે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી પર્વતમાળાઓમાં ફરીથી વનીકરણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.તેમણે કહ્યું હતું કે, અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં વિસ્તરેલી છે.તેમણે ભાર મૂક્યો કે આ પ્રદેશ સામે અનેક પર્યાવરણીય પડકારો છે જેનો સામનો કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
અરવલ્લી પર્વતમાળાને ફરીથી વનીકરણ કરવાનો પ્રયાસ
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં કહ્યું હતુ કે, આજે #WorldEnvironmentDay પર અમે #EkPedMaaKeNaam પહેલને એક ખાસ વૃક્ષારોપણ અભિયાન સાથે મજબૂત બનાવી.મેં દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં એક વૃક્ષ વાવ્યું.આ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે.જેનાથી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વનીકરણ કરવાનો અમારો પ્રયાસ છે.એ વાત જાણીતી છે કે અરવલ્લી પર્વતમાળા આપણા ગ્રહ પરની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. જે ગુજરાત,રાજસ્થાન,હરિયાણા અને દિલ્હીને આવરી લે છે.વર્ષોથી આ પર્વતમાળા સાથે સંકળાયેલા અનેક પર્યાવરણીય પડકારો ઉભા થયા છે.જેને ઘટાડવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે.
પર્વતમાળા સાથે જોડાયેલા વિસ્તારોને પુનર્જીવિત કરવા પર ધ્યાન
તેમણે વધુમાં લખ્યું હતું કે, અમારું ધ્યાન આ પર્વતમાળા સાથે જોડાયેલા વિસ્તારોને પુનર્જીવિત કરવા પર છે.અમે સંબંધિત સ્થાનિક વહીવટીતંત્રો સાથે નજીકથી કામ કરવા જઈ રહ્યા છીએ અને પાણીની વ્યવસ્થા સુધારવા, ધૂળના તોફાનોને રોકવા, થાર રણના પૂર્વ તરફના વિસ્તરણને રોકવા અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.અરવલ્લી પર્વતમાળા અને તેનાથી આગળ,પરંપરાગત વાવેતર પદ્ધતિઓ ઉપરાંત અમે ખાસ કરીને શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં, જ્યાં જગ્યાની મર્યાદા છે ત્યાં નવી તકનીકોને પ્રોત્સાહન આપીશું.વૃક્ષારોપણની પ્રવૃત્તિઓને જીઓ-ટેગ કરવામાં આવશે અને માય લાઇફ પોર્ટલ પર દેખરેખ રાખવામાં આવશે. હું આપણા દેશના યુવાનોને આ ચળવળમાં ભાગ લેવા અને આપણા ગ્રહના હરિત આવરણમાં યોગદાન આપવા માટે આહ્વાન કરું છું.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આભાર માન્યો
આ મુદ્દે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું, પર્યાવરણ દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને મોટી ભેટ મળી છે. અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે. અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનવાથી પ્રકૃતિનું સંવર્ધન થશે.