Banaskantha: સુઈગામની મમાણા ગ્રામ પંચાયતમાં વર્ષોથી એક જ પરિવારનું રાજ

ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલ સુઈગામ તાલુકાનું એક એવું ગામ છે કે જે ગામમાં આજ દિન સુધી ચૂંટણી થઈ નથી.આજ દિન સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નથી થઈ અને આ ગામના લોકો છેલ્લી 12 ટર્મથી એક જ પરિવારના લોકોને બિન હરીફ સરપંચ બનાવે છે .સુઈગામની મમાણા ગ્રામ પંચાયતમાં ગુજરાતની સ્થાપના બાદ એક પણ ચૂંટણી નથી યોજાઈ. છેલ્લા 30 વર્ષથી ગઢવી સમાજ પર લોકોનો ભરોસો છે. આ ગ્રામ પંચાયતમાં દિગપાલસિંહ ગઢવીની સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે.
ગઢવી પરિવારના સભ્યને જ સર્વ સંમતિથી સરપંચ બનાવાય છે
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામા મમાણા ગામ આવેલું છે. જે ભારત પાકિસ્તાન સરહદની નજીક છે. આ ગામનો ઇતિહાસ પણ અનોખો છે. 1947માં દેશ આઝાદ થયો.મહારાષ્ટ્રથી ગુજરાત 1960માં અલગ પડ્યું અને તે બાદ ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. 1961થી આજ સુધી સુઈગામ તાલુકાના મમાણા ગામમાં ગ્રામજનો દ્વારા ગઢવી પરિવારના સભ્યને જ સર્વ સંમતિથી સરપંચ બનાવવામાં આવે છે. સરપંચની ચૂંટણીની સાથે સાથે આ ગામમાં આજ દિન સુધી એક પણ પોલીસ ફરિયાદ નથી.આ ગામનું નામ પોલીસને ચોપડે ક્યારેય નથી નોંધાયું.આ ગામમાં દરેક સમાજના લોકો વચ્ચે ભાઈચારો છે.
દીગ્પાલસિંહ ઉમેદદાન ગઢવીને બિન હરીફ સરપંચ બનાવ્યા
લોકો જે સમયે ચૂંટણી આવે ત્યારે નક્કી કરે છે કે ગઢવી પરિવારમાંથી કોને સરપંચ બનાવવા અને તે બાદ ઉપસરપંચ અને સભ્ય નક્કી કરવામાં આવે છે.આ વખતે મમાણા ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ગામ લોકો એકઠા થયા અને ગઢવી પરિવારમાંથી યુવાન દીગ્પાલસિંહ ઉમેદદાન ગઢવીને બિન હરીફ સરપંચ નક્કી કરાવવામાં આવ્યા હતાં. ગામ લોકો દ્વારા પ્રભુદાન બેચરજી ગઢવીને સરપંચ બનાવવામાં આવ્યા તે બાદ પાંચ વર્ષ માટે વર્ધાજી હરદાનજી ગઢવીને સરપંચ બનાવવામાં આવ્યા હતાં.20 વર્ષ સુધી ઉમેદદાન પ્રભુદાન ગઢવીને સરપંચ બનાવવામાં આવ્યા અને હવે 2025માં દિગ્ગપાલ સિંહ ઉમેદાનજી ગઢવીને સરપંચ બનાવવામાં આવ્યા છે.