Gujarat: ઉકળતા જૂથવાદ વચ્ચે પેટા ચૂંટણી જીતવા કોંગ્રેસે રણનીતિ બદલી?

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર આગામી 19મી જૂનના રોજ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે રાજ્યમાં પેટા ચૂંટણી જીતવા માટે ચોપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વિસાવદરમાં ભારે નિવેદનબાજી વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીના પ્રચાર માટે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર ચર્ચાઓ ચઢ્યો છે. જ્યારે કોંગ્રેસનો સાયલેન્ટ પ્રચાર હજી નજરે ચઢ્યો નથી.
રાષ્ટ્રીય હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહ્યાં
આ દરમિયાન અમદાવાદ ખાતેના કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્યો સહિત રાજ્ય અને રાષ્ટ્રીય હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ચૂંટણી આવતા જ કોંગ્રેસના નેતાઓ તેમના અસલી રંગમાં આવી ગયા હોવાથી રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત દોડી આવ્યાં છે. પક્ષમાં અંદરો અંદર ઉકળી રહેલા જૂથવાદને શાંત કરવા મોવડી મંડળે કમર કસી છે.
કોંગ્રેસનો સાયલન્ટ પ્રચાર ચર્ચામાં
ભાજપના જબરદસ્ત પ્રચાર વચ્ચે કેવી રીતે જીત મેળવવી તેની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને વિસાવદરમાં નીતિન રાણપરિયા સતત લોકો વચ્ચે જઈને સાયલેન્ટ પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસની જબરદસ્ત સભા હજી સુધી જોવા મળી નથી. ક્યાંય કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી. જેથી કોંગ્રેસનો પ્રચાર માત્ર સોશિયલ મીડિયા પૂરતો સિમિત હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસે પણ ભાજપની જેમ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટારપ્રચારકો ઉમેદવાર સાથે લોકોની સાથે રૂબરૂમાં મળીને પ્રચાર કરી રહ્યાં છે.