Kachchh: પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહિરના પુત્રએ સરપંચની ચૂંટણી માટે ફોર્મ ભર્યું

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે.આગામી 22 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતાં આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે.ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો છે. લાંબા સમય બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાતા ગામડાઓમાં રાજકારણ ગરમાયું છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પૂર્વ રાજય મંત્રી વાસણભાઈ આહિરના પુત્રએ કચ્છની રતનાલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.
વાસણ આહીરના પુત્ર ત્રિકમ આહિરે ભર્યુ ફોર્મ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિરે કચ્છની રતનાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતના સમર્થકો અને ટેકેદારો સાથે ચૂંટણીનું ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાસણભાઈ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. હવે તેમના પુત્ર ત્રિકમ આહિર પર સરપંચ પદની ચૂંટણી લડીને રાજકારણમાં પ્રવેશ્યા છે.
ઘણા જિલ્લાઓમાં ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે
એક તરફ ધારાસભ્યો, મંત્રીઓ અને આગેવાનો ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. લાખો રૂપિયાની ગ્રાન્ટની જાહેરાતો કરી રહ્યાં છે. બીજી તરફ ઘણા જિલ્લાઓમાં ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે. સરકાર ઉપરાંત ધારાસભ્યો પણ સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રાન્ટ આપવાની જાહેરાતો કરી રહ્યાં છે. ત્યારે ગામડામાં લોકો ચૂંટણીઓ થાય તેની તૈયારીઓમાં જોવા મળી રહ્યાં છે.