World Yoga Day: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બુધવારે યોગ મહોત્સવ

વિશ્વ યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 11 જૂનના સવારે 5.30 થી 7.30 કલાક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેંટ સેન્ટર ખાતે આયોજિત આ વિશિષ્ટ યોગશિબિરમાં આશરે 10 હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે.
યોગ દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક આરોગ્ય તરફ સમાજને પ્રેરિત કરવા તેમજ યોગને જીવનશૈલી બનાવીને વ્યક્તિ-સમાજને તંદુરસ્ત તથા સુખમય બનાવવાના હેતુથી આ સમગ્ર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “મન કી બાત”માં યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સમગ્ર દેશની જનતાને સંદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે પણ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. આ શિબિર એક સશક્ત પગલું સાબિત થશે. વિશ્વ યોગ દિવસ 2025ની થીમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” ને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
યોગ મહોત્સવમાં જોડાવા રાજ્ય યોગ બોર્ડનો અનુરોધ
આ યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. અમદાવાદના મહત્તમ નાગરિકો, યુવાનો, વડીલો અને યોગપ્રેમીઓને આ યોગ મહોત્સવમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.