Sabarkantha: ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત મણિયોર ગામ સમરસ બન્યું

સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની મણિયોર ગ્રામ પંચાયતે આ વખતે એક અનોખું પગલું ભર્યું છે. ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત મણિયોર ગામ સમરસ બન્યું છે. 1500થી વધુ વસ્તી ધરાવતું આ ગામ 6થી 7 જુદી જુદી જ્ઞાતિઓથી બનેલું છે, છતાં એક રૂપતાથી લોકો એકમત થયા અને પંચાયતનું સંચાલન વિવાદ વગર થવા પામ્યું છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ અને સરપંચના ઉમેદવારો વચ્ચે લડી પડતા અને વિવાદ વચ્ચે જોવા મળે છે પણ મણિયોરએ સમરસતાનું દૃઢ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે, જે આસપાસના ગામો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.
ગામમાં પાણીની ગંભીર સમસ્યા
મણિયોર ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની ગંભીર સમસ્યા છે. ગામમાં પાણીની આવક 5થી 6 દિવસના અંતરે થતી હોવાને કારણે ખાસ કરીને મહિલાઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. ગામની નજીક આવેલા ઈડર પર્વતમાંથી આવતા વરસાદી પાણીના વહેણને કેનાલ થકી તળાવ સુધી લાવવાની સુંદર પહેલ કરવામાં આવી હતી, જે થકી તળાવમાં કરેલી કુવા, બોરમાં રિચાર્જ થઈ કુવો અને બોરમાંથી પાણી લોકો સુધી પહોંચે પણ આ તળાવમાં પાસે આવેલા સુરપુર ગામનું દૂષિત ગંદુ પાણી તળાવમાં જવાથી હવે મણિયાર ગામના લોકોને દૂષિત અને બેક્ટેરિયા યુક્ત પાણી મળતા હાલાકી પડી રહી છે, જોકે આ ગામે સુરપુર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સુધી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. હાલમાં આ પીવા માટે ઉપયોગમાં આવતું પાણી પણ દુષિત બનતું જતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, વારંવાર અનેક રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.
ગ્રામજનોને બાકી રહેલા વિકાસકાર્યો પૂરા થવાની આશા
મણિયોરમાં વહીવટદાર શાસન દરમિયાન વિકાસના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થયા નથી. જેમાં રોડ રસ્તા, ગટર લાઈનો અને સ્વચ્છતાની સ્થિતિ વણઉકેલ રહી હતી છતાં આ વખતે ગામજનો વચ્ચે વ્યાપેલી એકતાના કારણે સરપંચની ચૂંટણી વિના લોકો એકમત થયા અને ગામ સમરસ બન્યું છે. ગામના લોકોએ હવે સહિયારા પ્રયાસોથી બાકી રહેલા વિકાસકાર્યો પૂરા કરવાની આશા રાખી રહ્યા છે. મણિયોરની આ સમરસતાની સફળતા આજુબાજુના ગામડાઓ માટે માર્ગદર્શક બની રહી છે અને જો અન્ય ગામો પણ એજ દૃષ્ટિ અપનાવે તો સમગ્ર વિસ્તારની સ્વરાજ્ય પ્રણાલી વધુ મજબૂત બની શકે છે.