Gram Panchayat election: શૌચાલયને અયોગ્ય ઠેરવી ઉમેદવારી ફોર્મ રદ કર્યું, ગ્રામજનોમાં રોષ

ગુજરાતમાં આગામી 22 જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા કેટલીક પંચાયતો દ્વારા વિવાદને પગલે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જ્યારે કેટલીક પંચાયતો સમરસ પણ થઈ છે. આ દરમિયાન ફોર્મ પરત ખેંચવાના દિવસે પણ કેટલાક વિવાદો સામે આવ્યાં છે. નવસારીમાં આસના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શૌચાલયનું કારણ આગળ ધરીને ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા લોકો રોષે ભરાયા હતાં.
શૌચાલયને અયોગ્ય ઠેરવી ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું
નવસારીમાં જલાલપોરના આસના ગ્રામ પંચાયતમાં શૌચાલય યોગ્ય નહીં હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં. તલાટીએ અડધી રાત્રે નોટીસ આપતાં હોબાળો થયો હતો. ઉમેદવારો રિટર્નિંગ ઓફિસરને આવેદન આપવા માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન પણ તલાટીએ ઉમેદવારના ઘરે નોટીસ ચીપકાવી દીધી હતી. સરકારી યોજના હેઠળ બનેલા શૌચાલયને અયોગ્ય ઠેરવી ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે તેવો ઉમેદવારે આક્ષેપ કર્યો હતો.
તલાટીએ નિયમો નેવે મુકી અડધી રાત્રે કાર્યવાહી કરી
નવસારીના જલાલપોરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિયમો નેવે મુકીને અડધી રાત્રે કાર્યવાહીનો પ્રયાસ કરતાં ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. અડધી રાત્રે તલાટી નોટીસ આપવા માટે પહોંચતા ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. તલાટીએ ઉમેદવારના ઘર પર નોટીસ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. લોકોએ હોબાળો કરતાં જ તલાટી ત્યાંથી રવાના થઈ ગયા હતાં.