Arvalli: 'નુસરતને લંડન આવવાની ના પાડી હતી, છતાં..' પતિનુંં છલકાયું દર્દ

મે નુસરતને લંડન આવવા ના પાડી હતી અને છતાં તે લંડન આવવા નીકળી હતી. હું જ્યારે ઉઠયો ત્યારે નુસરતનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હું અત્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચી છું અને હવે ફલાઈટમાં બેસી લંડન આવી રહી છું. આ સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. કારણ કે મેં તેને ના પાડી હતી કે તું હજુ થોડો સમય ત્યાં પરિવાર સાથે રોકાઈ જા. તારે અંહી મારી પાસે આવવાની જરૂર નથી. નુસરતને લંડન આવવાની ના પાડી છતાં ત્યાં જવાનું નક્કી કર્યું. અને લંડન તો ના પહોંચી પણ..આ શબ્દો છે નુસરત જહાંના પતિ સોહેલના.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નુસરત જહાંનું નિધન
નુસરત જહાં કે જેમનું અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં નિધન થયું છે. નુસરત જહાં પણ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફલાઈટમાં પ્રવાસ કરતા હતા. મોડાસાના રહેવાસી નુસરત પોતાના પતિ પાસે લંડન એરઇન્ડિયાની ફલાઈટમાં બેઠા. પરંતુ લંડન ના પહોંચી શક્યા. તેમના પતિ સોહેલ પત્નીની રાહ જોઈ રહ્યા હતા. અચાનક પત્નીના આગમનથી તેઓ ખુશ હતા. પરંતુ તેમની ખુશી ક્ષણવાર રહી.
અમે બંને સાથે ભારત આવ્યા
અને તેમને જાણવા મળ્યું કે લંડન આવતી એરઇન્ડિયાની ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ મુસાફરોના મોત નિપજયા છે.આ સમાચાર સોહેલ માટે બહુ આઘાતજનક હતા. પ્લેન ક્રેશ અકસ્માત ઘટનાની જાણ થતાં જ સોહેલ ગુજરાત આવી પહોંચ્યા છે. આજે તેમણે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે બંને સાથે ભારત આવ્યા હતા. મારે કામ હોવાથી હું મે મહિનાની 21 તારીખના રોજ લંડન પરત ગયો. અને નુસરતને પરિવાર સાથે રહેવું હોવાથી તે અંહી એકલી રહી.
અચાનક વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા
જૂન મહિનાની શરૂઆતમાં જ્યારે તેણે લંડન આવવાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું હતું કે હજુ તારે રોકાવું હોય તો રોકાઈ જા. પરંતુ અચાનક 12 જૂનના રોજ સવારે (લંડનના સમય મુજબ)મને નુસરતનો ફોન આવે છે કે હું એરપોર્ટ પર છું અને લંડન આવી રહું છું. નુસરતના આવવાથી ખુશ હતો અને ત્યાં અચાનક વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા. નુસરતના જહાંના નિધનથી પતિ સોહેલ ઉપરાંત પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. તેમની એક જ વિનંતી છે કે નુસરતનો મૃતદેહ અમને મળે. જણાવી દઈએ કે આજે સરકારને પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયાના સમાચાર આપ્યા. અને સાથે જણાવ્યું કે ડીએનએ પરીક્ષણ બાદ પરીવારજનોને મૃતદેહ સોંપવામાં આવે છે.