Aravalli: બાયડના કૈલાશબેનનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો, લોકોએ ભારે હૈયે અંતિમ વિદાય આપી

અરવલ્લી જિલ્લાના બાયડના વતની કૈલાશબેન પટેલનો મૃતદેહ રવિવારે પરિવારજનોને સોંપાયા બાદ અત્રે ઘનશ્યામનગર સોસાયટીસ્થિત નિવાસસ્થાને લવાયો હતો. પુત્રને મળવા હરખભેર નિકળ્યા બાદ ફ્લાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આજે તેમના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટયા હતા. ગ્રામજનોએ ભારે હૈયે તેમને અંતિમ વિદાય આપી હતી. બાયડના સ્વ. કૈલાશબેન ધીરૂભાઇ પટેલના પુત્રએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. ત્યાર બાદ તેમના સેમ્પલ મેચ થતાં મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. તંત્ર તરફથી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદથી રવિવારે બપોરના સુમારે તેમના અંતિમ સંસ્કાર અર્થે મૃતદેહને બાયડ ઘનશ્યામનગર સોસાયટી સ્થિત નિવાસસ્થાને લવાયો હતો. તેમના પુત્રો સહિતનો સમગ્ર પરિવાર તેમજ સગાં-સંબંધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શનાર્થે ઉમટી પડયા હતા. તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને અંતિમ વિદાય આપી હતી. બાયડના વાત્રક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે પોતાના ત્રણ પૈકી ઇંગ્લેન્ડમાં રહેતા પુત્રના ઘેર જવા નીકળેલા બાયડના 63 વર્ષીય કૈલાશબેન ધીરૂભાઇ પટેલ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ગત તા.12મી જૂને સવાર થયા હતા. ફ્લાઇટે ટેક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડમાં જ તે દૂર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ત્યાર પછી ફ્લાઇટમાં સવાર પોતાના વહાલસોયા સ્વજનોના મૃતદેહ મેળવવા માટે પરિવારજનોએ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપવાથી લઇને ભારે દોડધામ કરવી પડી હતી. છેવટે મૃતદેહ મળતાં પોતાના સ્વજનને ભારે હૈયે વિદાય આપી હતી.