બ્રેકીંગ ન્યુઝ
Gram Panchayat Election: રાજ્યમાં કૂલ 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ

ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટે ધારાસભ્યો, મંત્રીઓ અને આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત લાખો રૂપિયાના ઈનામ અને ગ્રાન્ટની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 751 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે.
751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી
ગુજરાતમાં 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 102 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરાઈ છે. તે ઉપરાંત જામનગરમાં 60 અને બનાસકાંઠામાં 59 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. કેટલીક પંચાયતોમા વિવાદ હોવાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામા આવ્યો છે. જેમાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.
22મી જૂનના રોજ રાજ્યની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે
આગામી 22મી જૂનના રોજ રાજ્યની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જ્યારે 25મી જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ પહેલા 19મી જૂનના રોજ કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. 19મી જૂને બંને બેઠકો પર મતદાન યોજાશે. ઉમેદવારો દ્વારા આજે પુરજોશમાં પ્રચાર કરાશે. જ્યારે આવતી કાલથી રેલીઓ અને સભા સરઘસો શાંત થઈ જશે.