Gujarat By Election: હાર ભાળી ગયેલા AAPના નેતાઓએ આક્ષેપબાજી શરૂ કરી

ગુજરાતમાં આવતીકાલે કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે થનારા મતદાન પહેલા જ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરદસ્ત નિવેદનબાજી શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાર્યકરોને ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સામે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નેતાઓ ગમે તે બોલે તેનાથી મત નહીં મળે, સભામાં ભીડ ભેગી થાય પણ તેનાથી લોકોને કોઈ ફેર નહીં પડે.
માનસિક રીતે વિકૃત હોય તેવા ઉમેદવારને ટીકિટ અપાઈ
ભાજપના નેતા યજ્ઞેશ દવે એ કહ્યું હતું કે, કડી અને વિસાવદર બેઠક પર હાર ભાળી ગયેલી આમ આદમી પાર્ટીના નેતાઓએ ખોટી આક્ષેપબાજી શરૂ કરી છે. વિસાવદરની બેઠક પર માનસિક રીતે વિકૃત હોય તેવા ઉમેદવારને ટીકિટ અપાઈ છે. આપના ઉમેદવારે પૂર્વ ગૃહમંત્રીને જૂતુ માર્યું હતું. હજી જીત્યા નથી ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે વાતો કરે છે. એમને એવી પણ ખબર નથી કે, આ નિર્ણય રાજ્ય સરકાર કરે છે.
હરદેવ વિકમાને કોંગ્રેસે 2 લાખ આપ્યાના આક્ષેપ
આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઈટાલીયા વિરૂદ્ધ વીડિયો બનાવવા કાર્યકર્તાઓને ઓફર કરવામાં આવી હતી. આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ હોટલમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને રૂપિયા 2 લાખ હરદેવ વિકમાને કોંગ્રેસ દ્વારા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિતના આગેવાનો સામે આ આક્ષેપ કરવામાં આવ્યો હતો.