Kadi-Visavdar Bypoll 2025: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ મતદાન કર્યુ

ગુજરાતમાં આજે વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મતદાન શરૂ થયું છે વિસાવદર અને કડીમાં આજે પેટાચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા મતદાન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા છે, તેમણે બહુમતી સાથે કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે, રાણપરીયાનું કહેવું છે કે, પ્રચાર દરમિયાન લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા નીતિન રાણપરીયાને કોંગ્રેસે ટિકીટ આપી છે, નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.
વર્ષ 2022માં શું હતી વિસાવદરમાં સ્થિતિ?
વિસાવદર બેઠક પર વર્ષ 2022 દરમિયાન કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર જે તે સમયે કુલ 1,46,727 લોકોએ મત આપ્યા હતા, જેમાંથી કોંગ્રેસના કરશન વડોદરિયાને 16,969 મત મળ્યા હતા, ભાજપના હર્ષદ રીબડિયાએ 59,147 મત મેળવવા છતાં હાર ભાળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીને 66,210 મત સાથે વિજેતા બન્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર ઈકબાલ સમા અને મનસુખ વાઘેલાને અનુક્રમે 635 અને 1842 મત મળ્યા હતા.
વિસાવદર બેઠક છે ખાસ
વિસાવદર વિધાનસભા બેઠક મહત્વની એટલે છે કેમ કે આ બેઠક એક મુખ્ય પ્રધાન પણ આપી ચૂકી છે. કેશુભાઈ પટેલ પહેલી વખત ચૂંટણી જીતીને 1995માં મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પૂર્વે કુરજીભાઈ ભેસાણીયા ગુજરાત એસટી નિગમમાં ડિરેક્ટર અને રાજ્ય સરકારમાં અન્ય પદો પર કામ કરી ચૂક્યા છે. કેશુભાઈ પટેલ બાદ ચૂંટણી જીતેલા કનુભાઈ ભાલાળા પણ ગુજરાત સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હવે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને જો ભાજપના ઉમેદવાર ને ચૂંટણી જીતવામાં સફળતા મળે છે તો તેને રાજ્ય પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે.