Bihar Election: લાલુ યાદવના નીતિશ કુમાર પર પ્રહાર, કાર્ટૂન બનાવી કર્યા કટાક્ષ

તેજસ્વી યાદવ પછી, લાલુ પ્રસાદ યાદવના આક્રમક વલણ જોવા મળી રહ્યા છે. તેઓએ નીતિશ કુમાર પર પ્રહાર કર્યા છે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય યુદ્ધ તેજ બન્યું છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કાર્ટૂન દ્વારા મુખ્યમંત્રી નીતિશ કુમારને ‘કઠપૂતળી’ ગણાવ્યા છે. આ કાર્ટૂન સોશિયલ મીડિયા પર શેર કરીને તેમણે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, નીતિશ કુમાર હવે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓના ઈશારે કામ કરી રહ્યા છે.
બિહારમાં રાજકીય નિવેદનબાજી વધી
વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે, બિહારમાં રાજકીય નિવેદનબાજી વધી છે. તેજસ્વી યાદવ પીએમ મોદી, ભાજપના તમામ નેતાઓ અને સીએમ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તો આ બધાની વચ્ચે હવે લાલુ પ્રસાદ યાદવે એક કાર્ટૂન શેર કરીને નીતિશ કુમારને ‘કઠપૂતળી’ તરીકે દર્શાવ્યા છે. લાલુ પ્રસાદ યાદવે સોશિયલ મીડિયા પર કાર્ટૂન શેર કર્યું છે. જેમાં નીતિશ કુમારની કઠપૂતળી બનાવી છે. જેનું જોડાણ તેઓએ પીએમ મોદી અને બિહાર ભાજપના બે નેતાઓ સાથે થયુ છે. કાર્ટૂન શેર કરતા તેઓએ કેપ્શન લખ્યુ છે કે, “બિહારને બીમાર બનાવનારા ગુનેગારો !”.
તેજસ્વી યાદવે પણ કર્યો હતો શાબ્દિક હુમલો
આ પહેલા તેજસ્વી યાદવે ભાજપ અને નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મહાગઠબંધન સરકાર આવી રહી છે. આનાથી તણાવ વધી રહ્યો છે. તેથી NDAના નકલી લોકો અમારી જાહેરાતોની નકલ કરીને પેન્શન વધારી રહ્યા છે! અમે 7 મહિના પહેલા આ જાહેરાત કરી હતી. સરકાર પાસેથી સતત માંગણી કરી હતી. બજેટમાં અમારી જાહેરાતોનો સમાવેશ કરવાની માંગ સાથે અલગ બજેટ જોગવાઈ કરવાનું કહ્યું હતું. અમે વારંવાર કહ્યું હતું કે હું આ સરકારને પેન્શન વધારવા માટે દબાણ કરીશ અને અમે તે કર્યું.