Gujarat By election: AAP કે કોંગ્રેસ માટે ગુજરાતમાં સ્થાન નથીઃ નીતિન પટેલ

ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કડીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડાએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીતને લઈને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કડીમાં ભાજપને જંગી સમર્થન મળ્યું છે. કડીમા કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરી છે. આ વખતે ભાજપને 38 હજાર કરતા વધુ મતની લીડ મળી છે. ભાજપે કડીમાં ખૂબ મહેનત કરી છે.
આ વખતે પણ કડીની જનતા ભાજપની સાથે રહી છે: નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આ વખતે પણ કડીની જનતા ભાજપની સાથે રહી છે. તેમણે વિસાવદરના પરિણામો અંગે પણ કહ્યું હતું કે, વિસાવદરમા આપનો ઉદય નથી. ગઈ વખતે પણ વિસાવદરમાં આપની જીત થઈ હતી. ગુજરાતની પ્રજા ભાજપ સિવાય અન્ય પક્ષને નહીં સ્વીકારે. રાજ્યમાં આપ કે કોંગ્રેસ માટે સ્થાન નથી. બંને બેઠકો પર ભાજપના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે.
અમે જનતાનો અવાજ સ્વીકારીએ છીએઃ ઋષિકેશ પટેલ
પેટા ચૂંટણીના પરિણામો પર રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જે પણ પરિણામ આવે તે જનતાનો આદેશ છે. પ્રજાનો મેન્ડેટ અમને સ્વીકાર્ય છે. મેન્ડેટ અલગ આવે તો પણ અમે સ્વીકારીએ છીએ. અમે જનતાનો અવાજ સ્વીકારીએ છીએ.વિસાવદરમા હારનું વિશ્લેષણ કરાશે.વિસાવદરમાં ભાજપ ફરી પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, વિસાવદરમાં આ વખતે પણ આમ આદમી પાર્ટીની જીત થઈ છે.