*ગાબટના પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકીને ૬૦ હજારની મુર્તિઓની ચોરી કરી

અરવલ્લી જિલ્લાના ગાબટ મુકામે આવેલા સુપ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકી મંદિરના નકુચા તોડી કુલ રૂપિયા ૬૦ હજારની મૂર્તિઓ ચોરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ ગાબટમાં બસ સ્ટેશન વિસ્તારમાં ઉમિયા માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં ગુરુવારની રાત્રે તસ્કરો હાથ ફેરો કરી મંદિરમાંથી માતાજીની મૂર્તિઓ ચોરી હોવાની ફરિયાદ સાઠંબા પોલીસ મથકે નોંધાવા પામી છે.
સાઠંબા પોલીસ મથકે ગીરીશભાઈ અંબાલાલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગાબટ ગામે આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરે શુક્રવારે વહેલી સવારે મંદિરના કંપાઉન્ડમાં જ રહેતા પુજારી કેશવભાઈ જોષી જ્યારે મંદિરમાં સેવા પુજા અને સાફસફાઈ કરવા પહોંચ્યા ત્યારે તેમને મંદિરનો નકુચો તુટેલો જણાઈ આવતાં તેમણે વહીવટકર્તાઓને બોલાવી જણાવતાં બધાએ મંદિરની અંદર તપાસ કરતાં ચાંદીના ઢોળવાળી ધાતુની 1500 ગ્રામ વજનની અંબે મા ની મુર્તિ કિં. રૂ. 10000/-તથા માતાજીની ચાંદીની પાદુકાઓ વજન 700 ગ્રામ કિં.રૂ.50,000/- આમ કુલ રૂપિયા 60 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
સાઠંબા પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી