બ્રેકીંગ ન્યુઝ

Modasa: ઉ. ગુ.ના જળાશયોમાં 200 મિલિયન ઘન મીટર પાણીનો ઘટાડો


મે મહિનાનાની શરૂઆતમાં માવઠાનો માહોલ સર્જાયા બાદ હાલ છેલ્લા ચારેક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. આગ ઓકતી ગરમીની સાથે અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન છે. હજુ ચોમાસુ શરૂ થવાને આડે સરેરાશ એકાદ મહિનો બાકી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. છેલ્લા અઢી મહિનામાં જ ઉ.ગુ.ના જળાશયોમાં 200 મિલિયન ઘન મીટર પાણી ઘટયુ છે. તા. 1લી માર્ચે ઉ.ગુ.ના કુલ 15 જળાશયોમાં 42.16 ટકા પાણીનો જથ્થો હતો,તેની સામે હાલ 31.53 ટકા પાણી છે. અઢી મહિનામાં 10 ટકા પાણી ઘટયુ છે અને હજુ ચોમાસુ મંડાય ત્યાં સુધીમાં વધુ પાંચ ટકા પાણી ઘટી શકે છે. ત્યારે નદી-નાળામાં પાણી આવી જાય તેવો વરસાદ સમયસર નહીં શરૂ થાય તો કેટલાક વિસ્તારોમાં ચિંતા વધી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછો પાણીનો જથ્થો હોય જુલાઈ તેમજ ઓગસ્ટ મહિનામાં પાણીની સમસ્યાઓ ઉભી થવાની દહેશત રહેલી છે.

આંદામાન-નિકોબાર સુધી ચોમાસુ પહોંચ્યુ છે. ચોમાસુ આગળ વધવા માટેના આ વર્ષે પરિબળો સારા હોય મે મહિનાના અંત સુધીમાં કેરળમાં અને 15 જૂન સુધીમાં કે તે પહેલાં ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રારંભ થઈ જવાની શક્યતાઓ રહેલી છે. જો કે હજુ વિધિવત રીતે ચોમાસુ શરૂ થવાને આડે સરેરાશ એક મહિનાનો સમય બાકી છે. તે પહેલાં ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 31.53 ટકા જ હોય સમયસર વરસાદ શરૂ નહી થાય તો ચિંતા ઉભી થઈ શકે છે. આ વર્ષે ઉનાળાનો પ્રારંભ થયો ત્યાર બાદ 1લી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 42.16 ટકા પાણીનો જથ્થો હતો. જ્યારે અઢી મહિના બાદ તા. 17મી મેએ પાણીનો જથ્થો 31.53 ટકા છે. ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1929.20 મિલિયન ઘન મીટર છે. 1લી માર્ચના રોજ આ તમામ જળાશયોમાં કુલ 813.39 એમસીએમ જથ્થો હતો અને હાલ 608.31 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડતાં પાણીનું બાષ્પિભવન થઈ રહ્યુ છે. આ ઉપરાંત કેટલાક જળાશયોમાંથી પીવા માટે ઓ સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યુ હોય માત્ર અઢી મહિનામાં જ 200 મિલિયન ઘન મીટર પાણી ઘટયુ છે. હજુ ચોમાસુ શરૂ થાય તે પહેલાં 50થી 60 મિલિયન ઘન મીટર પાણી ઘટી શકે છે. ત્યારે જળાશયોમાં પાણીની આવક શરૂ થાય તેવો વરસાદ જો સમયસર શરૂ નહીં થાય તો જે જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. તે વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ ઉભી થવાની પણ દહેશત રહેલી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું પાણી બનાસકાંઠાના જળાશયોમાં 10.57 ટકા જ છે. આગામી દિવસોમાં તેમાં પણ ઘટાડો થશે અને એક આંકડામાં પાણીના જથ્થાની ટકાવારી આવી જશે. ત્યારે ઝડપથી ચોમાસુ મંડાય અને નદી-નાળાં છલકાય તેવો વરસાદ ચોમાસાના પ્રારંભે જ શરૂ થઈ જાય તેવી લોકો આશા રાખી રહ્યા છે.

બનાસકાંઠાના બે જળાશયોમાં પાણીનો જીવંત જથ્થો જ નથી

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 10.57 ટકા પાણીનો જથ્થો બનાસકાંઠા જિલ્લાનાં ત્રણ જળાશયોમાં છે. જેમાં સીપુ ડેમમાં માત્ર 5.90 ટકા જ જથ્થો ઉપલબ્ધ છે અને તે માત્ર ડેડ જથ્થો છે,જ્યારે જીવંત જથ્થો પુરો થઈ ગયેલ છે. મુક્તેશ્વર ડેમમાં 15.45 ટકા પાણી છે અને આ ડેમમાં પણ જીવંત જથ્થો નથી. દાંતીવાડા ડેમમાં 12.09 ટકા પાણી છે અને જીવંત જથ્થો માત્ર 41.38 એમસીએમ છે. આ જ રીતે તલોદના ગોરઠિયા ડેમમાં 21.93 ટકા પાણી છે પરંતુ જીવંત જથ્થો માત્ર 0.01 ટકા જ છે. જ્યારે બાયડ પંથકના લાંક ડેમમાં માત્ર 0.66 ટકા પાણી છે અને જીવંત જથ્થો નીલ છે.

7 જળાશયોમાં રપ ટકા કરતાં ઓછું પાણી

ઉત્તર ગુજરાતના 15 જળાશયો પૈકી 7 જળાશયોમાં 25 ટકા ઓછુ પાણી છે. જેમાં સીપુ, દાંતીવાડા, મુક્તેશ્વર, લાંક, ગોરઠિયા, ખેડવા અને ગુહાઈ ડેમનો સમાવેશ થાય છે. કેટલાક જળાશયોમાં તો 10 ટકા પણ પાણી ઉપલબ્ધ નથી. આ જળાશયોમાં ઉનાળાની શરૂઆતમાં જ 30 ટકા કરતાં ઓછું પાણી હોવાથી સિંચાઈ માટે તો આપી શકાય તેવી પરિસ્થિતિ જ ન હતી. જો સમયસર વરસાદ ન થાય તો આ જળાશયો વિસ્તારમાં પાણીની તંગી સર્જાવાની દહેશત રહેલી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!