Modasa: ખેરાડીના યુવકનું અકસ્માતમાં મોત થયાં બાદ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

ભિલોડા તાલુકાના ખેરાડી ગામના એક યુવકનું અકસ્માતમાં મોત થયાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે પરિવારે યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યકત કરી હતી અને લાશ ન સ્વિકારતાં આખરે લાશ હિંમતનગર શહેર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવાની ફરજ પડી હતી.
ખેરાડી ગામના જસ્ટીનભાઈ કર્નેલસભાઈ ખરાડીનું શુક્રવારે સાંજના સમયે ધંબોલીયા ગામની સીમમાં અકસ્માતમાં મોત થયાનો ગુનો શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. યુવક તેમજ અન્ય ત્રણ વ્યકિતઓ બે બાઈક લઈને રૂદ્રાલ ગામે લગ્નમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે જસ્ટીન ખરાડી બાઈક સાથે સિમેન્ટના પિલ્લર સાથે અથડાઈ જતાં મોત થયાની પોલીસે મૃતકના ભાઈને ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો. જો કે ફરિયાદીએ તેઓના ભાઈ જસ્ટીનનુ અકસ્માતમાં કે બીજી કોઈ રીતે મોત થયુ છે તેની તપાસ થવા માંગ કરી હતી. સાથે જ મૃતકના પરિવારે હત્યાનો ગુનો નોંધવાની માંગ ઉઠાવી લાશ સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલે પોલીસે સમજાવટ કરવા છતાં પણ પરિવારજનો લાશ લેવા તૈયાર ન થતાં આખરે મૃતક યુવકની લાશ હિંમતનગર કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી હતી.