
આ શિબિરમાં ગુજરાતભરમાંથી બસ્સો જેટલાં સર્જકો, સાહિત્યરસિકો અને જિજ્ઞાસુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
સાહિત્ય લેખન શિબિરમાં સૌપ્રથમ સાંદીપનિ પર્વના સંચાલિકા શ્રીમતિ કિરણબેન શર્માએ* હૃદયના ભાવથી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંચાલક અમિત ટેલરે* સૌને કાર્યક્રમની રૂપરેખાથી અને આયોજનથી માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ સાંદીપનિ સાહિત્ય પર્વના મુખ્ય સંયોજક ડૉ. હર્ષદ લશ્કરીએ* આ શિબિરના હેતુ અને જરૂરિયાત બાબતે ચિંતનાત્મક વાતો કરી પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી યોગેશ જોશી સૌને આવકાર આપ્યો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સૌ સર્જકો અને ભાવકોને માહિતગાર કર્યા હતાં.
શિબિરમાં બે વિભાગ હતાં, જેમાં ગદ્ય અને પદ્યના વિવિધ સ્વરુપો વિશે તજજ્ઞ સાહિત્યકાર મારફત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સુશ્રી શીતલ માલાણીએ ‘સ્ક્રીપ્ટ લેખનના પ્રકાર’ વિશે અને પોતાના અનુભવની શિબિરાર્થી સમક્ષ વાત કરી હતી. ત્યારબાદ પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. બીજાં વક્તા તરીકે જયંત ડાંગોદરા સાહેબે* ‘ગીત, ગઝલ, છંદ, લય’ વિશે સરળ ભાષાશૈલીમાં સૌ શિબિરાર્થીઓને માહિતગાર કર્યા હતાં. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચાલતાં વિવિધ કાર્યક્રમો વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ સૌ માર્ગદર્શકોએ, શિબિરાર્થીઓએ અને ભાવકોએ પોતાની રુચિ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન લીધું હતું.
ભોજન બાદ ત્રીજા વક્તા તરીકે સમીર ભટ્ટ ‘અછાંદસ કવિતા લેખનકાર્ય’ વિશે શિબિરાર્થી સાથે ગોષ્ઠિ કરી પોતાની આગવી શૈલીમાં સદ્રષ્ટાંત સમજૂતી આપી હતી. સૌની સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. ચોથા વક્તા તરીકે ડૉ. કેશુભાઈ દેસાઈ ‘ગદ્યલેખન રીત’ વિશે સૌ શિબિરાર્થીને જાણકારી આપી હતી. તેમણે નવલકથાના લક્ષણો અને સ્વરૂપની આરંભથી અંત સુધીની સફર કરાવી હતી.
શિબિરના અંતે સૌ મુખ્ય એવા રા.વિ.પાઠક સભાગૃહમાં એકત્રિત થયાં હતાં. ત્યાં સાહિત્યના ક્ષેત્રમાં વિદ્વાન એવાં રાઘવજી માધડ પોતાના અનુભવો અને પ્રતિભાવ રજૂ કરેલ હતા. તેમણે લઘુનવલ વિશે ખૂબ સુંદર માહિતી આપી હતી. તેમણે અસરકારક લઘુનવલ લખવા માટેની રીત શીખવી હતી. ત્યારબાદ દરેક શિબિરાર્થી પાસેથી પ્રતિભાવ પણ લેવામાં આવ્યા હતાં.
દરેક શિબિરાર્થીઓને પ્રમાણપત્ર તથા આમંત્રિત મહેમાનોને યોગ્ય સન્માન સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સમગ્ર શિબિરના સફળ આયોજન અને સંચાલન તથા સૌને સંતોષકારક સાહિત્ય શિક્ષણ મળ્યા બદલ મુખ્ય સંયોજક ડૉ.હર્ષદભાઈ લશ્કરી સંયોજક એવાં કિરણબેન શર્મા ‘ પ્રકાશ’, જગદીશભાઈ રથવી ‘સ્નેહબંસી’, કૌશલ મોદી ‘કુંજ’, નિશા નાયક ‘પગલી’, અમિત ટેલર ‘કાચબો’, તરલીકાબેન ‘તત્ત્વમસિ’, હાર્દિક પરમાર ‘મહાદેવ’ની પ્રશંસનીય કામગીરી બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો અને સૌ માર્ગદર્શકોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતે સૌ હાઈ ટી લઈને આનંદની અનુભૂતિ સાથે છૂટાં પડ્યાં હતાં.