
બાયડ તાલુકાના શેઢા આમોદરા વિસ્તારના બે દિવસ પહેલાં ગુમ થયેલા 18 વર્ષીય યુવાનની લાશ લક્ષ્મીપુરા(આમોદરા)ગામની સીમમાં આવેલી પાણી ભરેલી ખાણમાંથી તરતી શંકાસ્પદ હાલતમાં મળી આવતાં અનેક શંકાકુશંકાઓ ઉભી થવા પામી હતી.
બનાવ અંગે બાયડ પોલીસને વિશાલસિહ ભારતસિંહ સોલંકીએ જાણ કરતાં બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખાણના પાણીમાંથી લાશને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના આમોદરા વિસ્તારના શેઢા ગામનો 18 વર્ષીય યુવાન રણવિરસિહ ભારતસિંહ સોલંકી છઠ્ઠી ઓગસ્ટે સાંજના સમયે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો.
યુવાન ગુમ થયાના બરાબર બે દિવસ પછી આમોદરા નજીક લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલ ખાણમાંથી ગુરૂવારના રોજ આ યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ખાણના પાણીમાં લાશ તરતી હોવાની વાત સમગ્ર પંથકમાં ફેલાઈ જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બનાવ અંગે વિશાલસિહ રણવિરસિહ સોલંકીએ બાયડ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી