
નવી દિલ્હી
પતંજલીની એડ. વિવાદમાં ફસાયેલા યોગ ગુરૂ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ તેમજ દિવ્ય ફાર્મસીની મુશ્કેલી વધી છે. એલોપેથી વિરુદ્ધ બ્રાહ્મક પ્રચાર કરવા મુદે સુપ્રીમ કોર્ટે આજે એક તરફ બાબા રામદેવને આડે હાથે લીધા હતા અને શા માટે તેમની સામે કોર્ટ તિરસ્કારની કાર્યવાહી ન કરવી તે પ્રશ્ર્ન પૂછયો હતો. સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે તમે જે માફી માંગી લો છો તે અમને સ્વીકાર્ય નથી. સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તેમ છતાં તમે પતંજલીની જાહેરાતો પ્રસિદ્ધ કરતા રહ્યા છો. તમારો મિડીયા વિભાગ શું તમારાથી જૂદો છે.
અમે તમને નવેમ્બરમાં પણ ચેતવણી આપી હતી તે પછી પણ તમે પત્રકાર પરિષદ કરી. બાબા રામદેવ એક તબકકે ભવિષ્યમાં એવું નહી થાય તેવી ખાતરી આપી હતી પરંતુ સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ અદાલતમાં તિરસ્કાર અને સોગંદનામામાં જૂઠુ બોલવાનો કેસ છે અને તે તમારી સામે ચાલશે. એક તબકકે અદાલતમાં હાજર રહેલા બાબા રામદેવ તથા પતંજલી કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણએ બિનશરતી માફી માંગી હતી.
પરંતુ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું કે તમારે કાર્યવાહીનો સામનો કરવો જ પડશે અને તે સાથે અદાલત સમક્ષ રજુ કરેલા સોગંદનામામાં ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ બાબા રામદેવ સામે કોર્ટ અવમાનનાની કાર્યવાહીને ગંભીરતાથી લેવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને પતંજલી દ્વારા સુપ્રીમકોર્ટમાં જે સોગંદનામા રજુ કરાયા હતા તેના પ્રત્યે નામંજુર કરીને રામદેવ અને તેમની કંપનીને નવા સોગંદનામા રજુ કરવા એક સપ્તાહની તક આપી છે.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ હિમા કોહલીના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે આ ઉપરાંત રામદેવ અને તેમની કંપની સામે શા માટે અદાલતમાં ખોટી માહિતી આપવા બદલ કેસ ન કરવો તે પણ નોટીસ ફટકારી છે. આજે સુપ્રીમકોર્ટમાં બાબા રામદેવ માટે જબરી સંકોચભરી સ્થિતિ ઉભી થઈ હતી અને વારંવાર તેણે સુપ્રીમકોર્ટના ઠપકાનો સામનો કરવો પડયો હતો. પરંતુ એક આખરી તક આપીને એક સપ્તાહમાં નવા સોગંદનામા દાખલ કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત 10 એપ્રિલના રોજ ફરી એક વખત રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સુપ્રીમમાં હાજર રહેવાનું રહેશે.
► દેશ સેવાનું બહાનુ ન બતાવો: તમે કાનૂનથી ઉંચા નથી: સુપ્રીમે જબરી ફટકાર લગાવી
આજે અદાલતમાં હાજર થયેલા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ એક તરફ સર્વોચ્ચ અદાલતની માફી માંગી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે રામદેવનો બરાબર કલાસ લીધો હતો અને શા માટે કેન્દ્ર સરકાર તથા ઉતરાખંડ સરકાર પણ આ પ્રકારના ખોટા દાવા સામે આંખ બંધ કરી રહી છે તે પ્રશ્ર્ન પણ પૂછયો હતો અને જણાવ્યું હતું કે પરિણામ માટે તમારે તૈયાર રહેવું પડશે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ હિમા કોહલીએ જણાવ્યું કે તમે જે સોગંદનામામાં ખેદ વ્યક્ત કરવાની કે માફી માંગવાની વાત કરો છો તે હજુ સુધી અમને મળ્યુ નથી. તમે ગમે તેટલા મોટા હો પણ શું તમે કાનૂનથી પણ પર છો. કાનૂન સૌથી ઉપર છે. તમે સોગંદનામામાં સાચી માહિતી રાખી નથી અને તેથી તમારી સામે કોર્ટના તિરસ્કાર અને સોગંદનામામાં જૂઠુ બોલવાનો પણ કેસ ચાલશે. દેશ સેવાનું બહાનુ અદાલતમાં રજુ કરવાની જરૂર નથી. કાનુનના હાથ મોટા છે અને તે તમારા સુધી પહોંચશે.
► કેન્દ્ર અને ઉતરાખંડ સરકાર તેમજ ડ્રગ્ઝ ઓથોરીટીને પણ નોટીસ
પતંજલી આયુર્વેદ અંગે ભ્રામક વિજ્ઞાપનો અને ખાસ કરીને એલોપેથીની ટિકા કરતી જાહેરાતો અને ખોટા દાવા સંબંધમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા જે રિટ અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી તેમાં આ પ્રકારની એડ. સામે આંખ બંધ કરવાનો કેન્દ્ર સરકાર ઉપરાંત ઉતરાખંડની સરકાર અને ડ્રગ્ઝ કંટ્રોલ ઓથોરિટી સહિતને સુપ્રીમકોર્ટે આડે હાથે લીધા હતા અને શા માટે હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી તે અંગે પણ નોટીસ પાઠવી છે અને તેમને પણ અદાલતમાં જવાબ રજુ કરવા જણાવાયું છે.