
પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી આ વિવાદને શાંત કરવા માટે ભાજપના પ્રયાસ ચાલુ છે પણ તેમાં સફળતા નથી મળી. લોકસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ વિરોધ વધતો જાય છે અને પરશોત્તમ રુપાલાને હવે ચૂંટણી સભાઓ કરવામાં પણ તકલીફ પડી રહી છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશના કારણે રુપાલાની રાજકોટની સભા રદ કરવામાં આવી છે. સમાચાર ને વિડીયો સ્વરૂપ અ જુઓ
પરશોત્તમ રુપાલાના મામલે હજુ સુધી ભાજપને રાહત નથી મળી. મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ભાજપના કાર્યક્રમમાં આવીને ક્ષત્રિયો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક આગેવાનોએ તો પોતાના હોદ્દા પરથી રાજીનામા પણ આપી દીધા છે. બીજા ભાજપના નેતાઓની રેલીમાં પણ ખુરશીઓ ઉછળે છે અને કાળા વાવટા દેખાડવામાં આવે છે.
છેલ્લા ચાર દિવસથી જામનગર, ભાવનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચાર કર્યા હતા. એક સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાજપના ચાલુ કાર્યક્રમમાં અચાનક પહોંચી ગયા હતા. તેના કારણે થોડા સમય માટે કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહીતના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર હતા.